બુધવાર, 6 મે, 2009

આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈ - રિષભ મહેતા

એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈ,
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈ.

હુંય એ જાણું જ છું કે તું બધું જાણે જ છે,
તુંય એ જાણે જ છે કે કંઈ બધું કહેવાય નૈ.

ખૂબ ઊંડેથી તને હું સાદ દઉં છું ને છતાં,
તું મળે પ્રત્યક્ષ ત્યારે ‘કેમ છે?’ પુછાય નૈ.

રાહ તારી જોઉં કે નીરખું કે હું ઝંખું તને ,
ત્રણ ઘટનાઓથી આગળ આ કથા કંઈ જાય નૈ.

એટલી નાજુક છે તારી નિકટતા, કે તને-
એ તૂટી જાવાના ડરથી સ્પર્શ પણ કંઈ થાય નૈ.

એક દી તું આ નજરથી દૂર થઈ જાશે અને
હું કહી પણ ના શકીશ કે કંઈ મને દેખાય નૈ.

મ્હેકતો ગજરો હશે તારી લટોમાં ને અહીં -
એ સ્થિતિ મારી હશે કે શ્વાસ પણ લેવાય નૈ.

આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે ?
આ બધું કહેવાય નૈ , સહેવાય નૈ, સમજાય નૈ.

- રિષભ મહેતા
(૧૬-૧૨-૧૯૪૯) જન્મસ્થળ વેડાછા, નવસારી
કાવ્યસંગ્રહ- ‘આશકા’, સંભવામિ ગઝલે ગઝલે’, ‘તિરાડ’.
કોલેજમાં આચાર્ય…

1 ટિપ્પણી:

  1. Rajan Soni said:

    મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર, વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

    જવાબ આપોકાઢી નાખો